Skip to main content

જામનગરની પ્રજાએ કુંવર અજાજીના મૃત્યુનો શોક અઢીસો વર્ષ પાળીને રાજભક્તિ દર્શાવી..

 મીરઝા અઝીઝ કોકની રાહબરી નીચે- અકબરની ફોજ ધ્રોળ સુધી આવી પહોંચી. ભૂચર મોરીના વિશાળ મેદાનમાં જામ સતાજી લાવલશ્કર લઇને આવી પહોંચ્યા. પ્રચંડ તાકાત અને વિશાળ સૈન્ય બળ ધરાવતી બંને ફોજ વચ્ચે ભીષણ યુદ્ધનો રંગ જામ્યો. શૂરવીર રાજપૂતો રણમેદાનમાં ખાંડાના ખેલ ખેલવા માંડ્યા. હાથીઓની હિબસુ બોલવા માંડી, ઊંટ ગાંગરવા માંડ્યા. અશ્વોની હણહણાટી અને તોપગોળાના અવાજ સંભળાવા માંડ્યા. લડાઇ લાંબી ચાલી. મોગલોનું સૈન્ય જંગી હતું. ચોમાસાની ૠતુ હોવાથી કાદવ કીચડ અને નદીનાળાંથી છલકાતી ધરતી પર શાહી સૈન્યને જામના લશ્કર સામે વ્યૂહરચનામાં ફાવટ ન આવી. વળી જામશ્રીએ બાદશાહી લશ્કરને મળતી ખોરાક અને યુઘ્ધની મળતી તમામ સામગ્રીનો પુરવઠો અટકાવી દીધો. બાદશાહનું લશ્કર મુશ્કેલીમાં મૂકાઇ ગયું. સોરઠી તવારિખના કર્તા દિવાન રણછોડજી નોંધે છે કે ‘તે વખતે બાદશાહી છાવણીમાં એક રૂપિયે શેર અનાજ વેચાતું હતું.’ સીધી લડાઇને બદલે સામસામા છૂટાછવાયા હૂમલા શરૂ થયા. બાદશાહનો સુબો અઝીઝ કોક અને તેના સાથીદારો બે ત્રણ મહિનાની લાંબી લડાઇથી છેવટે કંટાળી ગયા. રાજપૂતોએ રાતવરતના છાપા મારી બાદશાહના લશ્કરમાં અસંખ્ય હાથી, ઘોડા ને ઊંટ લૂંટી લીધા.


આથી થાકીને બાદશાહના સુબાએ હળવદના રાજવી ચંદ્રસંિહ દ્વારા સમાધાની વાતો ચલાવી. સમાધાન થાય તો સુબાએ ૨ લાખ જામસતાજીને અને રૂા. એક લાખ ખાનગીમાં ચંદ્રસંિહને આપવાનું ઠરાવ્યું. આ બાબતની જાણ જૂનાગઢના દોલતખાન તથા લોમા ખુમાણને થતાં બંનેને ચંિતા થઇ પડી કે જો લડાઇમાં જામસતાજીનો વિજય થશે તો આપણાં રાજ્યોની સલામતી નહીં રહે. આથી એમણે અઝીઝકોકને ખાત્રી આપી કે પારોઠનાં પગલાં ભર્યા વિના યુઘ્ધ લડી લો. લડાઇ નિર્ણાયક બનતા અમારા લશ્કરો તમારી સાથે ભળી જશે. એ પછી સમાધાનની વાત પડતી મૂકી અઝીઝકોકે સતાજીને યુઘ્ધનું કહેણ મોકલ્યું. જામસતાજી પોતાના લશ્કર સાથે લડાઇમાં ઉતર્યા. ભયંકર લડાઇના પરિણામે અને લોમો ખુમાણ ૨૪ હજારનું સૈન્ય લઇ સુબા સાથે જોડાઇ ગયા. ત્રણ પ્રહર સુધી ચાલેલી ખુનખાર લડાઇ પછી જેસા વજીરે જામશ્રીને કહ્યું ઃ ‘દગાખારોએ દગો કર્યો છે. અમે રણસંગ્રામ ટકાવી રાખશું. આપ જામનગર પધારો અને રાજકુટુંબનો બંદોબસ્ત કરો. જામશ્રીને વાત વ્યવહારું લાગતા તેઓ હાથીના હોદ્દા પરથી નીચે ઊતરી ઘોડા માથે સવાર થયા અને થોડા અંગરક્ષકો સાથે જામનગર આવ્યા. એ વખતે કુમાર શ્રી અજાજીના તાજાં લગ્ન લેવાયા હોવાથી તેઓ જામનગરમાં જ હતા. લડાઇ ચાલુ છે તેની જાણ થતાં જ તેઓ જામશ્રીની રજા લઇ ૫૦૦ રાજપૂત જાનૈયા સાથે ભૂચર મોરીના મેદાનમાં આવી પહોંચ્યા.
અજાજીના અણધાર્યા આવવાથી જામસતાજીના લશ્કરમાં નવા પ્રાણ પુરાયા. બીજા દિવસે પ્રાતઃકાળે બંને સેનાઓ સામસામી ટકરાઇ. કુંવર અજાજીએ પોતાના પાંચસો યોઘ્ધાઓને કેશરિયા પોષાકથી સજ્જ કરી મરણિયા બની કેશરિયા કર્યા. હાથમાં તલવાર અને સાંગ લઇ ઘોડેસ્વાર થઇ વીજળી પડે એમ લશ્કર પર ત્રાટક્યા ઃ ‘આઝમ ક્યાં છે? આઝમ ક્યાં છે?’ એમ બોલી માર માર કરતાં બાદશાહનું અરઘુ લશ્કર ઓળંગી ગયા. આજમના હાથીની પાસે પહોંચી ઘોડાની વાઘ ખેંચીને પગની એડી મારતા તાલીમી ઘોડાએ ઝાડ થઇ બે પગ હાથીના દંતશૂળ પર માંડ્યા. કુંવરશ્રી સાંગનો જોરૂકો ઘા કર્યો. આઝમ અંબાડીમાં લોખંડની કોઠીમાં સંતાઇ ગયો. અંબાડી વીંધીને સાંગ આરપાર નીકળી ગઇ.
કુંવર શ્રી અજાજીના મહાયુઘ્ધનું વર્ણન કરતાં ‘વિભાવિલાસ’ના કર્તા કવિશ્વર વજમાલજી લખે છે કે હાથીઓના કુંભસ્થળોમાં પડતી તલવારો વાદળમાં સળાવા કરતી વીજળીની પેઠે ચમકવા લાગી. કુંવરશ્રી ઘોડાઓ સહિત અસ્વારોના બબ્બે કટકા કરવા લાગ્યા. નાગજી વજીર વગેરે ૫૦૦ યોઘ્ધાઓએ તલવારોની બટાઝોટી બોલાવવા માંડી. માથાં તડોતડ ઉડવા લાગ્યા. કેટલાંક ધડ લડવા લાગ્યાં. કેટલાક તરફડવા લાગ્યાં. જોગણીઓ લોહીથી ખપ્પર ભરવા લાગી. માંસાહારી પક્ષીઓને મિજબાની મળી ગઇ. રણક્ષેત્રમાં લોહીની નદીઓ વહેવા માંડી. જોગણીઓનાં ઝુંડેઝુંડ ફરવા લાગ્યાં. પીધેલા લોહીના રંગાડાથી જોગણીઓનાં મોઢાં ભયંકર લાગવા માંડ્યા. ગરંજો માંસના ગોળા ગળવા લાગી. શૂરવીરોને વરવા અપ્સરાઓ વરમાળ લઇ ઝળુંબી રહી. મનવાંચ્છીત વરો મળતાં ધૂંઘટા કાઢી છેડાછેડી બાંધી સ્વર્ગ તરફ ચાલવા લાગી. ભૈરવાદિ વીરો ડાક વગાડવા લાગ્યા. શંકર રૂંઢમાળ વાસ્તે માથાં વીણવા લાગ્યા.
ઓળખ થતાં મોગલ સૈનિકોએ મીંઢોળબંધા કુંવર અજાજી ઉપર એકસામટાં હથિયાર ચલાવ્યાં. તલવારનો ઝાટકો પડતાં અજાજીનું માથું ધડથી જુદું થયું. ભૂચર મોરીની લડાઇમાં અજાજી ઉપરાંત જેસો વજીર, ભાણદલ, મહેરામણજી, નાગડો વજીર અને ડાયો જેવા વીરપુરૂષો મરાયા. એક હજાર નાગડા બાવાઓ આ લડાઇમાં વીરત્વ બતાવીને ખપી ગયા. મહેરામણજીના ૧૪ દિકરાઓ કામ આવ્યા. સતાજીના લશ્કરનો સોથ વળ્યો. કહેવાય છે કે આ યુઘ્ધમાં બંને પક્ષે મરનારની સંખ્યા દસ હજાર ઉપરાંતની હતી. યુઘ્ધમાં સતાજીના ભત્રીજા, જમાઇ સહિત ૬૭ સગાઓ યુઘ્ધમાં મરણને શરણ થયા.
ભૂચર મોરીના મેદાનમાં અજાજી વીરગતિને વર્યા છે એવા માઠાં સમાચાર મળતાં રાણીસાહેબાને મળ્યા. એ વખતે સચાણાના ઈસરદાનજી બારોટના પુત્ર ગોપાલ બારોટે ઘવાયેલી સ્થિતિમાં ઘોડા પર આવી ને અજાજીની પાઘડી નવોઢા રાણીને આપી. પાઘડીના દર્શન થતાં જ એમને સત ચડ્યું. અજાજીનાં રાણી સૂરજકુંવરબા રથ જોડાવીને ભૂચર મોરીના રણક્ષેત્રમાં જવા નીકળ્યાં. એ વખતે મોગલ સૈનિકોએ રથને અટકાવવાની કોશિષ કરી, ત્યારે સૌરાષ્ટ્રના નેકટેકના દર્શન થયા. ધ્રોળના ભાયાતોએ જામસતાજી સાથેના મનદુઃખને કારણે યુઘ્ધમાં ભાગ લીધો નહોતો. તેમ છતાં આ સમયેપોતાનો ક્ષત્રિય ધર્મ યાદ કરી મુસલમાનોથી રાણીને બચાવવા મુસ્લિમોને પોતાના રીતરિવાજો સમજાવ્યા. પછી સૂરજકુંવરબાનો રથ યુઘ્ધના મેદાનમાં આવ્યો ત્યારે ધ્રોળના રાજપૂતોએ સતી થવા માટેની તેમની બધી તૈયારીઓ કરાવી દીધી. અહીં રણક્ષેત્રમાં સોઢાપુત્રી સૂરજકુંવરબા અજાજીના મસ્તકને ખોળામાં મૂકીને સતી થયા. ડૉ. પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે કે ‘આ સૌરાષ્ટ્રની ખાનદાની હતી. આ રાજપૂતોની રખાવટ હતી કે ભલે દુશ્મનાવટ હોય કે અમુક સમયે મનદુઃખ હોય તો પણ સંકટ સમયે સૌ સાથે જ રહ્યા છે.’
અનેક શૂરવીરોની આહૂતિ પછી સૌરાષ્ટ્રની આ છેલ્લી અને સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ વિ.સં. ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૨) શ્રાવણ વદી સાતમ (શિતળા સાતમ)ના રોજ સમાપ્ત થઇ. કુંવર અજાજી આ દિવસે સ્વર્ગે સિધાવ્યા હોવાથી એમના શોકમાં તે વખતના જામનગર રાજ્યની પ્રજાએ હાલાર પ્રદેશમાં શિતળા સાતમની ઉજવણી અને મેળા ભરવાનું બંધ કર્યું હતું. અજાજીના મૃત્યુનો શોક પાળી રાજભક્તિ બતાવી હતી. ૨૫૦ વર્ષ પછી જામ રણમલજીને ત્યાં પાટવી કુંવર બાપુભાનો જન્મ શ્રાવણ વદ સાતમને દિવસે થયો ત્યારે રાજ્યના હુકમથી એ તહેવાર પુનઃ ઉજવવાની શરૂઆત થઇ. એ પછી આજેય જામનગરમાં સાતમ આઠની સવારી ચડે છે અને મેળાઓ ભરી સાતમની ઉજવણી કરવામાં આવેછે.
ભૂચરમોરીની જગા પર જ્યાં યુઘ્ધ થયું હતું ત્યાં ઊંચા પગથાર ઉપર જામશ્રી અજાજીની દેરી છે. એમાં તેમનો ઘોડેસ્વાર પાળિયો છે. બાજુમાં સતીનો પાળિયો છે, જેમાં હાથનો પંજો છે. તે સૂરજકુંવરની ખાંભી છે. સંિદૂર લગાડવાને કારણે પાળિયા પરનો લેખ વાંચી શકાતો નથી. આ પાળિયા પર જામશ્રી વિભાજીએ દેરી ચણાવી જીર્ણોઘ્ધાર કર્યો તે વખતની વિગતનો શિલાલેખ આ દેરીમાં છે. તેની ઉપર ઉત્તર તરફની દિવાલે બાદશાહનો સુબો હાથી ઉપર બેઠો છે. જામ અજાજી પોતાના ઘોડાને કૂદાવી સૂબાને સાંગ મારે છે તેવું ચિત્ર આલેખ્યું છે. અજાજીની દેરીના પટાંગણમાં રામ, લક્ષ્મણ અને ભૂતનાથનાં નાના નાના મંદિરો આવેલાં છે.
દેરીની ઉત્તરે આઠ પાળિયા જમીન ઉપર છે. તેમાંનો એક જેસાજી વજીરનો છે. તેની હારમાં બીજા ચાર પાળિયા છે. તેનાથી થોડે દૂર ત્રણ ઊંચા પાળિયા છે. તેના પર ‘સંવત ૧૬૪૮ બરખે શ્રાવણ વદ ૮’ એટલું વંચાય છે. જામશ્રી અજાજીની દેરીથી દક્ષિણે છ પાળિયા છે. તેમાં બે ત્રણ અર્ધા તૂટેલા છે. દેરીની સામેની બાજુ પૂર્વમાં કાળા પથ્થરની અણઘડ ખાંભીઓ છે. તેના માથે સંિદૂર ચડાવેલું છે. આ ખાંભીઓ નાગાબાવાની જમાતની છે, એમ ત્યાંના મંદિરના પૂજારી કહે છે. અહીં રણમેદાનમાં કુંવર અજાજી, રાણી સૂરજકુંવરબા સહિત ૨૩ પાળિયા કોટના કંપાઉન્ડમાં છે. બહારના ભાગમાં બીજા આઠ પાળિયા જોવા મળે છે. એનાથી થોડે છેટે રખેહર ઢોલીની ખાંભી છે. બધા મળીને ૩૨ પાળિયાઓ આવેલા છે. જામનગર રાજ્ય તરફથી દર વરસે માણસો સંિદૂર ચડાવવા આવે છે ત્યાં કસૂંબો કરી ડાયરાને પાઇ ડાડાને ચોખાનું નેવૈદ્ય કરી અજાજી અને સૂજરકુંવરબાના પાળિયાનું પૂજન કરેછે.
જામશ્રી અજાજીની દેરીથી નૈૠત્ય ખૂણામાં ભૂચર મોરીમાં જે મુસલમાનો કામ આવ્યા તેમને દફનાવેલ છે. આ કબ્રસ્તાન ફરતી કાંટાળી વાડ છે. વચમાં બાંધેલો કૂવો છે. બાજુમાં મસ્જિદ છે. માત્ર આઠ જ કબરો હોવાથી એવું અનુમાન કરવામાં આવે છે કે એક મોટો ખાડો ગાળી તેમાં લાશોને દફનાવી તેના ઉપર સરદારોની આઠ કબરો બનાવી હશે!
બાદશાહ અકબરના દરબારના કવિ દુરશાજી આઢાએ અજાજીની વીરતા અંગે વીર અને શૃંગારરસ મિશ્રિત કાવ્ય રચ્યું છે જે ‘કુમાર શ્રી અજાજીની ભૂચર મોરીની ગજગત’ના નામથી સુપ્રસિઘ્ધ છે. રાજકવિ નારણદાનજીએ અજાજીને રંગ દેતાં લખ્યું છે ઃ
કુંવર અજો યુઘ્ધ આંગણે, સોંપી ક્ષાત્ર શરીર;
પૃથ્વી ભલકારો પામિયો, રંગ તને રણવીર.
ભૂચર મોરીની જગા વિશાળ અને બેઠી ધારડીવાળી હોવાથી આસપાસનો વિસ્તાર આવળ, બાવળ, બોરડી અને કેરડાથી છવાયેલો જોઇ શકાય છે. અહીં પગ મૂકતાં જ વીરભૂમિ હોવાનો અહેસાસ
થાય છે. સવા ચારસો વર્ષ પછીયે ખેલાયેલા માનવસંહારની ભીષણ લીલાના ભેંકાર પડછંદા અહીં સંભળાય છે. સુડતાલીસ હજાર સૈનિકોના તલવારોના વીજળી જેવા ઝબકારા, યુઘ્ધે ચડેલા ઝનૂની નાગડા બાવાઓની જમાતના ચિપિયાઓના ખણખણાટ, બૂંગિયા ઢોલ, નગારાંના ધોંસા અને મરણિયા બનેલા વીરોના હોંકારા પડકારાના પડઘા સંભળાય છે. રણક્ષેત્ર સૂનું પણ ભયાનક ભાસે છે.
આ ઐતિહાસિક સ્થળને પુરાતત્ત્વખાતા તરફથી રક્ષિત જાહેર કરાયું છે. ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં દર વરસે શ્રાવણ વદ અમાસનો મોટો મેળો ભરાય છે. જામનગર અને આજુબાજુના ગામના લોકો મેળો માણવા ઉમટી પડે છે. વીરપૂજાના પ્રતીકસમા આ મેળામાં અગાઉ જામસાહેબ ખુદ હાજરી આપતા. અહીં શૂરવીરો ખાંડાના ખેલ ખેલતા. તલવારો સમણતા. રાસ મંડળીઓ રાસે રમતી. આજે પોરબંદરની મેર રાસ મંડળી, બાંટવાની રાજપૂતપરા રાસ મંડળી અને લતીપુરની પટેલ રાસ મંડળીના ઢાલ તલવારના રૂંવાડાં ખડાં કરી દેનારા વિશ્વવિખ્યાત રાસ આ મેળાની દેણગી મનાય છે. કહેવાય છે કે એની શરૂઆત સિત્તેરેક વર્ષ મોર્ય લતીપુરના પટેલોએ આ મેળામાંથી કરી હતી.


સને ૧૯૯૨માં આ ઐતિહાસિક પ્રસંગને ૪૦૦ વર્ષ પૂરાં થતાં હોઇ જાણીતા નવલકથાકાર શ્રી હરિલાલ ઉપાઘ્યાયના સૂચનને સ્વીકારીને શિતળાસાતમના દિવસે શહીદોને સ્થળ પર શ્રઘ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો જેમ આજપર્યંત ચાલુ છે. સને ૧૯૯૮માં ‘ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ રચાયું છે. તેના ઉપક્રમે ક્ષત્રિય સમાજ સ્વયંભૂ રીતે શિતળા સાતમે ઉપસ્થિત થાય છે. અહીં આવેલા સ્મારકો, ડેરી, ખાંભીઓ વગેરેનો ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર કરી રાષ્ટ્રની ધરોહરને, વિરાસતને જાળવવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે.




Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨