Skip to main content

અણનમ માથાં – સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના


આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડાચારસો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર બાર ભાઈબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાંને જાણે આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો ! બાર ખોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.’

આ બારેયનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ, જેને દેવીની શકિતના પ્રતિક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈનીય સામે માથું ન ટેકવવાનું નીમ હતું.

ધાનરવ, સાજણ, નાગાજણ, રવિ, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ — બધા પરજિયા ચારણ, જ્યારે બારમો કેશવગર બાવાજી.

સૂરજ-ચંદ્રની સખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેયનો સરદાર વિસળ રાબો: પરજિયો ચારણ: સાત ગામડાંનો ધણી: હળવદના રાજસાહેબનો જમણો હાથ: જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે: જેણે પોતાની તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે: દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે: એવા અણનમ કહેવાતા વિસળ રાબાએ વાત ઉચ્ચારી: “ભાઈ ધાનરવ ! ભાઈ સાજણ ! ભાઈ નાગાજણ ! રવિયા ! લખમણ ! તેજરવ ! ખીમરવ ! આલગા ! પાલા ! વેરસલ ! અને કેશવગર ! સાંભળો.”

“બોલો, વિહળભા !” એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા.

“સાંભળો, ભાઈ ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઈ મેલી છે. આપણને શાસ્તરની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્તર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે – વાંસા – મોર્ય નહિ. છે કબૂલ?”

“વિહળભા ! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતપોતાની તરવારને શિર ઉપર ચડાવીને સોંગદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે.”

ડાલાં ડાલાં જેવડાં બારેય માથા ઉપર બાર ઝગારા મારતાં ખડગ મંડાયા. અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે ‘જીવવું-મરવું બારેયને એક સંગાથે – ઘડી એકનુંય છેટું ન પાડવું’

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવો : મોતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઈને આનંદે ચડ્યા છે: વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છે: કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડાં હંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો. આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન-આરતી સંભળાવે છે.

બીજી બાજુ શો બનાવ બન્યો ?

અમદાવાદ કચેરીમાં જઈને વિસળ ગઢવીના એક અદાવતીયા ચારણે સુલતાનના કાન ફૂંકયા કે “અરે, હે બાદશાહ સલામત ! તેં સારાયે સોરઠ દેશને કડે કર્યો, મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુગટ ઝૂકાવે, પણ તારી બાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.”

“કોણ છે એવો બેમાથાળો. જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ?” બાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછયું.

“આંબરડી સુંદરીનાં સાત સાંજણ ગામનો ધણી વિસળ રાબો. જાતનો ચારણ છે.”

‘લા હોલ વલ્લાહ ! યા ખુદા તાલા ! યા પાક પરવરદિગાર !’ – એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવવાળા, અકકેક ઘેટો હજમ કરવાવાળા, અકકેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપ-બખ્તર પહેરવાવાળા. મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની જોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા.

“શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે ? એની પાસે કેટલી ફોજ ?”

“ફોજ-બોજ કાંઈ નહીં, અલ્લાના ફિરસ્તા ! એક પોતે ને અગિયાર એના ભાઈબંધો. પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. બાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.”

સડડડડ ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રુવાંડા બેઠા થઈ ગયાં. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાનો કાળદુત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે “બોલાવો વિસળ રાબાને.”

એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો – એવા દેવતાઈ રૂપવાળો વિસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી દસ દિશાઓના ચાકળા-ચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળો નાખતી ધરતી યજ્ઞ-કુંડ જેવી સડ્સડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે ! એવા ચૌદ બ્રહમાંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વિસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે:

જ્યોતે પ્રળંબા, જુગદમ્બા, આધ અંબા ઈસરી,

વદનં ઝળંબા, ચંદ બંબા, તેજ તંબા તું ખરી,

હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

જીય રાસ આવડ રમ્મણી.

જીય રાસ આવડ રમ્મણી.

ભેરવે હલ્લા, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,

હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝૂઝ મલ્લાં ઝેલ્લીયં,

ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમ ગમમમ આભનો ઘુંમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોંકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરીને બેય ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વિસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિના આરાધન ઉપડે છે:

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંગર પાય નમે,

દિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહી સાયર તેણ સમે,

નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,

રવરાય રવેચીએ, જ્ગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.

દેવી વક્કળ વેસીએ ઇસવરી,

માડી વક્કળ વેસીએ ઇસવરી.

મેઘમાળા ગાજી હોય એવો ભુલાવો ખાઈને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વિસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે.

એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે “વિહળભા ! પાતશા તમારે પાદર આજ પરોણા થઈને ઊતરેલ છે.”

“બાદશાહ ની તો પરવા નથી, પણ પરોણો એટલે જ પાતશા.” એમ બોલીને ચારણ સાંતીડે ઘીસરું નાખી, બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી, કડબ નીરી, કોઈ જાતની ઉતાવળ ન હોય એમ બાદશાહને મળવા ચાલ્યો.

“વિહળભા, સાંભળજો ! ચાડી પહોંચી છે.” બજારના માણસોએ શિખામણ સંભળાવી.

“હું તે બેમાંથી કોને સંભાળું, ભાઈ? બાદશાહ ને કે ચૌદ લોકની જગજ્જનીને?”

એટલો જવાબ વાળીને વિસળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા. સિત્તેરખાં અને બોતેરખાં ઉમરાવ જ્યાં અદબ ભીડી, શિર ઝૂકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી અજ્ઞાની વાટ જોતાં ઊભા છે, ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે, રાજેભર્યે લૂગડે, અણથડકી છાતીએ, ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામા આવીને એક હાથે આડી તરવાર ઝાલીને બીજે હાથે સલામ દીધી. એનું માથું અણનમ રહ્યું.

“વિસળ ગઢવી !” સુલતાને નાખોરાં ફુલાવીને પડકારો કર્યો. “સલામ કોની કરી?”

“સલામ તો કરી આ શક્તિની –અમારી તરવારની, ભણે, પાતશા !” વિસળે થનદે કલેજે જવાબ વાળ્યો.

“સોરઠના હાકેમને નથી નમતા?”

“ના, મોળા બાપ! જોગમાયા વન્યા અવરાહીં કમણેહીં આ હાથની સલામું નોય કે આ માથાની નમણ્યું નોય; બાકી તોળી આવરદા માતાજી ક્રોડ વરસની કરે !”

“કેમ નથી નમતા ?”

“કાણાં સારું નમાં ? માણહ માણહહીં કેવાનો નમે ? હાથ જોડાવા લાયક તો એક અલ્લા અને દુજી આધ્યશક્તિ: એક બાપ અને ડીજી માવડી; આપણ સંધા તો ભાઈયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા ! નમીએ નહીં. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં તો પછે, બોલ્ય પાતશા, કાણાં સારું નમાં ?”

ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘન પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડયો : “કાં સલામ દે, કાં લડાઈ લે.”

“હા ! હા ! હા ! હા !” હસીને વિસળભા બોલ્યો: “લડાઈ તો લિયા; અબ ઘડી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નસેં. પણ પાતશા ! મોળો એક વેણ રાખ્ય.”

“ક્યા હૈ?”

“ભણે પાતશા, તોળી પાસેં દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસતાર : તોળા પાસેં તોપું,બંધૂકું, નાળ્યું-ઝંઝાળ્યું. અને અમણી પાસેં અકકેક ખડગ : ભણે લડાઈ લિયાં ; પણ દારૂગોળે નહિ ; આડહથિયારે. તોળા સૈકડા મોઢે લડવૈયા; અમું બાર ભાઈબંધ : આવી જા. અમણા હાથ જોતો જા, અણનમ માથા લેને કીમ કવળાસે જવાય ઈ જોતો જા !”

સુલતાને બેફિકર રહીને કેવળ તરવાર-ભાલા જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.

“રંગ વિસળભા ! લડાઈ લેને આદો ! રંગ વિસળભા ! પાતશાની આગળ અણનમ રૈને આદો !”

એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ સામી બજારે દોટ દીધી, વિસળને બાથમાં લઈ લીધો. દસ ને એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામાં અબીલગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે.

મોરલા જેવા બાર ભાઈબંધોનાં મોતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા ! મે ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાનો ઈલાજ બતાવે ?”

“ઈલાજ છે ખુદાવંત,” વજીર બોલ્યો : “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વિસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થસે. બસ, એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”

સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારેય ભાઈબંધો સગાંવહાંલાને જીવ્યા-મુવાના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વિસળભા ! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વિસળે ભારથમાં પારોઠનાં (પીઠના) પગલાં ભર્યાં કહેવાશે, હો !”

“પારોઠનાં પગલાં ! વિહળો ભરશે?” વિસળભાની આંખોમાં તેજ વધ્યાં: “ધાનરવ ભા ! નાગાજણ ભા ! રવિયા ! લખમણ ! ખીમરવ ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નિકળીએ.”

પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા.

“અલ્લાહ ! અલ્લાહ ! અલ્લાહ ! ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ ?”

એવે ટાણે વિસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો:

વિહળ પૂછે બ્રાહ્મણા, સુણ કેશવ કંધાળા,

કણ પગલે સ્રગ પામીએ, પશતક નૈયાળા?

[અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સંભાળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે?]

અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયા છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિધા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળભા !-

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,

કરવત કે ભેરવ કરે, શિખરાં શખરાળાં,

ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મારે હઠાળા,

તે વર દિયાં વિહળા, સાગ થિયે ભવાળા.

[વિહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વિહળ!]

સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈને કુંડાળું કાઢ્યું.

“જુવાનો !” વિસળે વાણીનો ટંકાર કર્યો : “જુવાનો ! આજ આપણાં અમરાપુરના ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કુંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો ! આજ ભાઈબંધીના પરખાં થાસે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સુવા આ કુંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબુલ છે?”

“રૂડું વેણ ભણ્યું, વિહળભા !” દસેય જણાયે લલકાર દીધો.

“આકળા થાઓ માં, ભાઈ, સાંભળો ! કુંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાનાં હથિયાર પડીયાર, ફેંટાફાળિયા અને કાયાની પરજેપરજ નોખાં થઈ ગયાં હોય તેય વીણીને સાથે આણવા. બોલો બનશે?”

“વિહળભા !” ભાઈબંધો ગરજયા: “ચંદર-સૂરજની સખે માથે ખડગ મેલીને વ્રત લીધા છે. આ કેસરિયા વાઘા પહેર્યા છે. આ કંકુના થાપા લીધા છે અને હવે નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાયા, બાપ ! વાંસોવાંસ ડગલાં દિધ્યે આવશું.”

“જુઓ, ભાઈ ! અત્યારે આજ સાંજરે આપણાંમાંથી આંહી જે કુંડાળાં બહાર, એ ઈશ્વરને આંગણેય કુંડાળાં બહાર; વિસરશો મા.”

દસેય જણાયે માથાં નમાવ્યાં.

“અરે, પણ આપણો તેજરવભા ક્યાં?”

“તેજરવ પરગામ ગયો છે.”

“આ…હા ! તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળાં થાશું.”

અગિયારેય જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા-મૂઆનાં રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી.

સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વિસળ બોલ્યો : “ભાઈ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે. એને માથે ઘા ન હોય, હો કે ! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાનાં હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જોવા દેજો, હો !”

“હો, ભાઈ !”

માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજુડી રબારણ હાલી આવે છે. આવીને એણે કુંડાળાં ઢુકડો ગોળો ઉતાર્યો. “વિહળ આપા ! આ પાણી !”

“માંજુડી, બેટા, રંગ તને, ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લગી હશે. અમે વળીએ ત્યાં સુધી આંહી બેસજે, બેટા !”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી !’ ‘જે ચંડી, જે જોગણી !’ની હાકલો દીધી, ડોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે –

હે જલંગા હંસલા કમંધ મકરાણી,

શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,

ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,

જાણ શશાંગી ઝૉપિયા સજકિયા પતાશાણી.

રેવતવંકા રાવતાં મખમલ પલાણી,

સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરસાની – એવા જાતજાતના પાણીપંથા અને પહાડને વીંધે એવી જાંધોવાળા માથે મખમલનાં પલાણ માંડીને પઠાણો ઊતર્યા.

ઝાકાઝીક: ઝાકાઝીક: ઝાકાઝીક: સામસામી તરવારોની તાળીઓ પડવા મંડી. એક એક ભાઈબંધ સો-સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘુમવા માંડયું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે ‘યા અલ્લાહ ! યા અલ્લાહ ! ઈમાનને ખાતર ઈન્સાન કેવી જિગરથી મારી રહ્યો છે !’

“વાહ, કેશવગર ! વાહ બાવાજી ! વાહ બ્રાહ્મણ, તારી વીરતા !” એવા ધન્યવાદ દેતો દેતો વિસળ રાબો કેશવગરનું ધિંગાણું નીરખે છે !”

શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે, આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે.

“વિહળભા !” વિસળના નાનેરા ભાઈ લખમણે સાદ દીધો: “વિહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતૂક આવ્યાં તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહિ ! વિહળ, કેશવગરને ભલકારા દઈ રીયા છો, પણ આમ તો નજર માંડો !”

ડોક ફેરવીને જ્યાં વિસળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તરવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતા જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વિસળની છાતી ફાટફાટ થઈ રહી.

“એ બાપ, લખમણ, તું તો રામનો ભાઈ, તને ભલકારાણ હોય, તું શૂરવીરાઈ દાખવ એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો : માગણ ઊઠીને આંતરડાની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઈ કહેવાય, મારા લખમણ જતી !”

સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા ! આડહથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથેમાથું આ અગિયારેય જણા બાજરાના ડુંડાની જેમ લણી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો ! ગલોલીઓ ચલાઓ !” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાની વર તો હડુડુડુડુ! હમમમમ! ધડ! ધડ! ધડ! –

સીંગળ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,

સાબળ છૂટે સોંસરા, સુરા સભટ્ટે,

વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટ્ટા પ્રાછ્ટ્ટે,

ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવા ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઈબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યાં. કોઈ એક પગે ઠેકતો આવે છે, કોઈ આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે, કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા, પછી વિસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો, “ભાઈબંધો, સુરાપુરીના ધામ દેખાય છે. હાલી નીકળો !”

સહુ બેઠાં. લોહીનો ગારો કરીને સહુએ અકકેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદા ઓશિકા કર્યા. અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા.

ટોયલી ભરી ભરીને માંજુડી રબારણ અગિયારેય મોતના વટેમાર્ગુઓને પાણી પાય છે, પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે, ત્યાં તો અગિયારેયની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈને કુંડાળે આવ્યો.

આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે “આ કોણ? આ કોણ?”

અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડિયો ઓળખાણ દેતો જાય છે કે “આ વિસળ ! આ ધાનરવ ! આ લખમણ.”

“મારા પીટયા !” માંજુડીએ કાળવચન કાઢ્યું: “તને વાગે મારા વાશિયાંગનાં ભાલા ! મારા સૂતેલા સાવજને શીદ જગાડ્છ? જીવતાં હતા તે ટાણે ઓળખાવવા આવવું’તું ને ?” (અને રબારણની વાત સાચી પડી. વિસળનો દીકરો વાશિયાંગ,જે યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભરબજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો.)

માંજુડીની આંખમાં આંસું આવ્યાં. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.

ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નિકો ભળી. એણે આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એકસામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે ! તેજરવ આપા ! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પાડો.”

“એ ભાઈ, મને રોકો માં. તે ડી છોડિયું છાબે નો’તી રમી, પણ મરદોએ કાંડા બાંધ્યા હતાં.”

છૂટીને તેજરવ દોડ્યો, છલાંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઈબંધોની ચિતા સામે ઊભીને બોલ્યો: વિહળભા, તમું હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું પડી દીધું? પણ હે અગ્નિદેવતા ! મારો ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વિહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય.”

એટલું બોલીને અગિયાર ભાઈબંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું, હાથમાં માલા લીધી અને બળતી ઝાળોની વચ્ચે બેસીને ‘હર ! હર ! હર !’ નાં જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખીએ કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

[દુહો]

તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં

સોયે મરણ સટે, વિસળસું વાચા બંધલ.

[તેજરવે પોતાનું તણ મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના માત્ર વિસળની સાથે મૃત્યુ સટોસટનાં કોલ દીધા હતા.]

અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કુંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક ડેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વિસા રાબાએ હાથીના દંતશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મહોબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતાં તેથી બાદશાહે જ વાવ બૂરાવેલી હતી. વિસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.

આંબરડી (સરા પાસે : ચોટીલાથી આશરે 35 કી.મી.ને અંતરે)

|| અણનમ માથા ||

(ગીત:- સાવજડું)

અણનમ માથા અણનમ માથા શિષ કટાવે અણનમ માથા

ઝુકે કદી ન ક્રોડ દીયે પણ મોત મનાવે અણનમ માથા

મહારાણો પરતાપ ઝુકે ના જંગલ ભટકે અણનમ માથા

થરથર આખો અકબર થાતો દિલ્લી થડકે અણનમ માથા

સાત ગામનો ધણી અકેલો વિહળ રાબા અણનમ માથા

બાદશાહને સલામ શેની કરો કહુંબા અણનમ માથા

દેતા કન્યા અહમદશા’ ને ઊભો સામંત અણનમ માથા

બહારવટા બિહોલ ગામના અહરાણા અંત અણનમ માથા

આખરમાં આઝાદ અમારા હાથે મરતા અણનમ માથા

અંગ્રેજોના હાથે ના’વે ધીંગે ધરતા અણનમ માથા

ગ્રજવી ગોહીલવાડ ધરાને જોગીદાસે અણનમ માથા

શુદ્ધશિયળના રંક સહારા રાજા ત્રાસે અણનમ માથા

ધરણી યુનાની પર કેવલ ત્રણસો જોદ્ધે અણનમ માથા

માત આપવા મોત ભલે હો ભભકે ક્રોધે અણનમ માથા

અણનમ માથા અણનમ માથા વંદન તમને અણનમ માથા

ધાર્મિક ધરતો ચરણો માંહી રચના સારી અણનમ માથા

-કવિ ધાર્મિકભા ગઢવી

લેખક – ઝવેરચંદ મેઘાણી

Comments

Popular posts from this blog

વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય

 ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી રાજ્યમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાંથી પસાર થતાં વીજ ટાવર લાઈનના યોગ્ય વળતરને લઈને સતત રજૂઆત અને વિરોધ નોંધાવી રહ્યા હતા. તેવામાં ખેડૂતોના વિરોધ સામે હવે સરકાર ઝૂકી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, 'વીજ પોલમાં હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરાશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર સહિતના વ્યક્તિનો કમિટીમાં સમાવેશ કરાશે.' જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત ગુજરાત સરકારે વીજ ટાવર અને લાઇન પસાર થવા બદલ ખેડૂતોને અપાતા વળતરમાં વધારો કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ આ નિર્ણય પાછળ ખેડૂત સંગઠનોના લાંબા સમયના આક્રોશ અને આગામી રાજકીય ગણતરીઓ છુપાયેલી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત પ્રથમ દ્રષ્ટિએ આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવમાં આ નિર્ણય સરકારે પોતાની અગાઉની અન્યાયી નીતિઓનો સ્વીકાર કર્યો હોવાનું સાબિત કરે છે. વર્ષોથી જંત્ર...

JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે

  The Jamnagar Janmarg Foundation (JJMF) operates the city bus service in Jamnagar in partnership with the Jamnagar Municipal Corporation. The service includes a modernized fleet of electric buses aimed at providing eco-friendly and convenient public transportation across the city. Operating Hours: Buses generally run from 06:30 AM to 09:30 PM, with specific frequencies varying between 60 to 90 minutes depending on the route. બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Official App: You can easily track real-time bus locations, check route timetables, and purchase tickets directly through the JJMF – Apps on Google Play mobile app. PM E Bus service  JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે.બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Android: https://shorturl.at/wbJTF IOS: https://shorturl.at/DyMKn   Jamnagar Municipal Corporation

Kakanmath Temple ककनमठ मंदिर

 મધ્યપ્રદેશના મોરેના (Morena) જિલ્લામાં સિહોનિયા ગામ નજીક આવેલું **કકનમઠ મંદિર (Kakanmath Temple)** ભારતનાં સૌથી રહસ્યમય, ભયાનક અને અદભુત મંદિરોમાંનું એક છે. આ મંદિરને જોતાં જ એવું લાગે છે કે તે હમણાં જ પડી જશે, પરંતુ તે સદીઓથી તમામ વાવાઝોડાં અને ભૂકંપો સામે અડીખમ ઊભું છે. નીચે આ રહસ્યમય મંદિરનો ઇતિહાસ અને તેની વિગતો આપવામાં આવી છે: 1. કકનમઠ મંદિરનો ઇતિહાસ (History)  નિર્માણ કાળ:આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં (આશરે ઇ.સ. 1015 થી 1035 દરમિયાન) થયું હતું.  શાસક:કછવાહા (Kachchhapaghata) રાજવંશના રાજા **કીર્તિરાજ** દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.  * **નામકરણ:** રાજા કીર્તિરાજની રાણીનું નામ **'કકનવતી'** હતું, જેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાણીની ઈચ્છા પૂરી કરવા માટે રાજાએ આ મંદિર બંધાવ્યું હતું, તેથી રાણીના નામ પરથી આ મંદિરનું નામ 'કકનમઠ' પડ્યું.  * **દેવતા:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેના ગર્ભગૃહમાં આજે પણ એક મોટું શિવલિંગ સ્થાપિત છે. 2. અદભુત સ્થાપત્ય અને રહસ્ય (The Architectural Mystery) કકનમઠ મંદિર તેની અનોખી બનાવટ અને રહસ્યમય ભૌમિતિક સં...

New Traffic Rules : 1 જ વર્ષમાં 5 E Challan આવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ થશે સસ્પેન્ડ, કેન્દ્ર સરકારનો નવો નિયમ

 Traffic Rules Change: ભારત સરકારના (Government of India) રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં (Central Motor Vehicles Rules) અત્યંત મહત્વપૂર્ણ અને કડક સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાકીય ફેરફારો અનુસાર, ઈ-ચલણ (E-Challan) અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, દંડની રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) સસ્પેન્શન અંગેની જોગવાઈઓ હવે પહેલાં કરતાં વધુ કડક અને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ગુજરાત સરકારના (Government of Gujarat) વાહનવ્યવહાર વિભાગ દ્વારા પણ રાજ્યના નાગરિકોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ફરિયાદ માટે 45 દિવસની સમયમર્યાદા અને આપોઆપ સ્વીકૃતિ નવા નિયમોની મુખ્ય વિગતો અનુસાર, જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ (E-Challan) સામે કોઈ વાંધો, ટેકનિકલ ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં સત્તાવાર 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની રહેશે. જો આ 45 દિવસમાં ...

એકતા • સેવા • સમર્પણ : સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે,

 આ પંક્તિઓ ખૂબ જ ઊંડી, પ્રેરણાદાયી અને સમાજ માટે અરીસો બતાવનારી છે. ​સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે, તે આ ચાર લીટીઓમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે: ​લડો સમાજ માટે: જો તમારામાં અન્યાય સામે લડવાની તાકાત હોય, તો આગળ આવીને લડો. ​લડી ના શકો તો બોલો: જો કોઈ કારણસર મેદાનમાં આવીને લડી ન શકો, તો અન્યાય સામે અવાજ ઉઠાવો, તમારો વિરોધ નોંધાવો. ​બોલી ના શકો તો લખો: જો અવાજ ઉઠાવવામાં પણ સંકોચ કે ડર હોય, તો તમારી કલમ ઉપાડો. લખાણ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ​હિંમત ના તોડો: અને જો તમે આ ત્રણેય વસ્તુ કરવા સક્ષમ નથી, તો કંઈ નહીં... પણ જે લોકો સમાજ સુધારવા માટે લડી રહ્યા છે, બોલી રહ્યા છે કે લખી રહ્યા છે, તેમની હિંમત ક્યારેય ન તોડો. તેમનો પગ ખેંચવાને બદલે તેમને સાથ આપો અથવા મૌન રહીને પણ તેમનું મનોબળ વધારો. ​એકતા, સેવા અને સમર્પણની ભાવના સાથેનો આ સંદેશ ખરેખર દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. ખૂબ જ સુંદર વિચાર!

જ્યારે મહમૂદ ગઝનવીએ શ્રી કૃષ્ણનું જન્મસ્થળ તોડી નાખ્યું હતું,

 ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની જેમ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર પણ આક્રમણકારી મહેમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો. આ મંદિરને પણ લૂંટી લીધું હતું. આ મંદિર ત્રણ વખત તૂટી ગયું છે અને ચાર વખત નિર્માણ થયું છે. હજી પણ આ સ્થળની માલિકી માટે બે પક્ષોમાં કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. જાણો કૃષ્ણ જન્માષ્ટમી પર જન્મ ઇતિહાસ… કૃષ્ણનો જ્યાં જન્મ થયો છે, તે પાંચ હજાર વર્ષ પહેલાં મલ્લપુરા ક્ષેત્રના કટરા કેશવ દેવમાં રાજા કામસાની જેલ હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ જેલમાં રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. ઇતિહાસકાર ડો. વાસુદેવ શરણ અગ્રવાલે કટરા કેશવદેવને કૃષ્ણનું જન્મસ્થળ માન્યું છે. વિવિધ અધ્યયન અને પુરાવાઓના આધારે, મથુરાના રાજકીય સંગ્રહાલયના બીજા કૃષ્ણદત્ત વાજપેયીએ પણ સ્વીકાર્યું કે કટરા કેશવદેવ એ કૃષ્ણનું સાચું જન્મસ્થળ છે. ઇતિહાસકારોના મતે, સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવેલા આ ભવ્ય મંદિર પર 1017 એ.ડી.માં મહેમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવ્યા બાદ તૂટી પડ્યો હતો. કૃષ્ણના મહાન પૌત્ર બજરનાભે પહેલું મંદિર બનાવ્યું : લોકપ્રિય માન્યતા અનુસાર, જેલની નજીકની પ્રથમ ...

Mamallapuram, Tamil Nadu

 તામિલનાડુમાં ચેન્નાઈથી લગભગ 60 કિમી દૂર બંગાળની ખાડીના કિનારે આવેલું મામલ્લાપુરમ (જે મહાબલીપુરમ તરીકે પણ ઓળખાય છે) તેના અદભુત દરિયાકાંઠાના મંદિરો, પથ્થરોમાંથી કોતરેલી ગુફાઓ અને પલ્લવ રાજવંશના સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ​ઇલોરાના કૈલાશ મંદિરની જેમ જ, આ સ્થળ પણ પ્રાચીન ભારતીય શિલ્પકળાનો સુવર્ણ ઇતિહાસ દર્શાવે છે. અહીં મામલ્લાપુરમનો ઇતિહાસ અને તેની મુખ્ય વિશેષતાઓ વિગતે આપવામાં આવી છે: ​1. મામલ્લાપુરમનો ઇતિહાસ (History) ​નિર્માણ કાળ: આ ઐતિહાસિક નગર અને તેના મંદિરોનું નિર્માણ 7મી અને 8મી સદી દરમિયાન થયું હતું. ​શાસક: આ સ્થાપત્યોનું નિર્માણ દક્ષિણ ભારતના શક્તિશાળી પલ્લવ રાજવંશ (Pallava Dynasty) ના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજા નરસિંહવર્મન પ્રથમ (જેઓ પોતાની યુદ્ધકળાના કારણે 'મામલ્લ' એટલે કે મહાન યોદ્ધા તરીકે ઓળખાતા) અને રાજા નરસિંહવર્મન દ્વિતીય (રાજસિંહ) ના સમયમાં આ કાર્ય થયું. ​મહત્વ: પલ્લવ શાસન દરમિયાન મામલ્લાપુરમ એક વ્યસ્ત અને સમૃદ્ધ બંદર (Port City) હતું, જ્યાંથી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર થતો હતો. ​2. મુખ્ય જોવાલાયક સ્થળો અને સ્થાપત્ય ​મામલ્...

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર, 98 % કામ પૂર્ણ, જન્માષ્ટમી પહેલા લોકો માટે ખુલ્લું મુકાઇ તેવી શક્યતા....... આ રામવન ખાતે ભગવાન શ્રીરામના જુદા જુદા પ્રસંગો દર્શાવતાં 22 જેટલાં સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવશે અને ભગવાન શ્રીરામે કરેલો વનવાસ અર્બન ફોરેસ્ટમાં આકાર લઇ વિકસાવવામાં આવશે. 55 હજાર વૃક્ષથી ઘેઘૂર જંગલ બની રહ્યું છે. રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળશે આ અંગે રાજકોટ મહાનગપાલિકાના ગાર્ડન શાખાના અધિકારી કે.પી. હાપલિયાએ જણાવ્યું હતું કે રાજકોટના આજીડેમ પાસે નિર્માણ થઇ રહેલા રામવનનું દિવાળી બાદ મોટા ભાગનું કામ પૂર્ણ થઇ જશે, જેથી આગામી માર્ચ મહિનામાં રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળી જાય એ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મિની જંગલને તંત્ર દ્વારા રામવન નામ આપવામાં આવ્યું છે, જેનું 60 ટકા જેટલું કામ પૂરું થઇ ગયું છે. રામવન ખાતે વિવિધ કામગીરી અને નવાગામ સી.સી. રોડની ચાલુ કામગીરી નિહાળતા મ્યુનિ. કમિશનરશ્રી @arora2k21 : જુદાજુદા કામે નિમાયેલ એજન્સી સાથે કામગીરી અંગે મ્યુનિ. કમિશનરશ્રીએ રીવ્યુ બેઠક કરી: ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સુચ...

जिस बुजुर्ग को मामूली समझकर टिकट फाड़़ दी गई. उसी ने एक कॉल मेंपूरी एयरलाइंस बंद करवा दी ।

 सर्दियों की सुबह थी। दिल्ली एयरपोर्ट की भीड़ अपने चरम पर थी। बिजनेस ट्रैवलर्स लैपटॉप लेकर भाग रहे थे। परिवार छुट्टियों पर जाने को तैयार थे और हर तरफ चकाचौंध थी। इसी भीड़ में एक बुजुर्ग व्यक्ति धीरे-धीरे चलते हुए एयरलाइंस के काउंटर तक पहुंचे। उनका पहनावा सादा था। सफेद कुर्ता पाजामा, ऊपर एक पुराना भूरे रंग का स्वेटर, और पैरों में फटी सी चप्पल। हाथ में एक प्लास्टिक कवर में रखी हुई प्रिंटेड टिकट थी। शायद कहीं से किसी ने निकाल कर दी हो। उनके चेहरे पर शांति थी। लेकिन आंखों में एक थकान भी जैसे कोई लंबा सफर तय करके आया हो। और अब केवल कंफर्म सीट का आश्वासन चाहिए। उन्होंने काउंटर पर खड़ी लड़की से बड़े विनम्र स्वर में पूछा। बिटिया यह मेरी टिकट है। सीट कंफर्म है क्या? मुझे जयपुर जाना है। लड़की ने एक नजर उन्हें ऊपर से नीचे तक देखा। फिर मुंह बनाया और बोली, "अंकल, यह रेलवे स्टेशन नहीं है। यहां बोर्डिंग ऐसे नहीं मिलती। पहले ऑनलाइन चेक इन करना पड़ता है। बुजुर्ग थोड़ा घबरा गए। मुझे नहीं आता बेटा। यह सब बस आप एक बार देख लो। प्लीज। मेरी बहू अस्पताल में है। पास खड़ा एक और कर्मचारी हंसते हुए बोला। अरे...

નારાયણ સરોવર

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે.  તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.  બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું. મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહી...