Skip to main content

અણનમ માથાં – સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના


આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડાચારસો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર બાર ભાઈબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાંને જાણે આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો ! બાર ખોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.’

આ બારેયનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ, જેને દેવીની શકિતના પ્રતિક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈનીય સામે માથું ન ટેકવવાનું નીમ હતું.

ધાનરવ, સાજણ, નાગાજણ, રવિ, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ — બધા પરજિયા ચારણ, જ્યારે બારમો કેશવગર બાવાજી.

સૂરજ-ચંદ્રની સખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેયનો સરદાર વિસળ રાબો: પરજિયો ચારણ: સાત ગામડાંનો ધણી: હળવદના રાજસાહેબનો જમણો હાથ: જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે: જેણે પોતાની તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે: દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે: એવા અણનમ કહેવાતા વિસળ રાબાએ વાત ઉચ્ચારી: “ભાઈ ધાનરવ ! ભાઈ સાજણ ! ભાઈ નાગાજણ ! રવિયા ! લખમણ ! તેજરવ ! ખીમરવ ! આલગા ! પાલા ! વેરસલ ! અને કેશવગર ! સાંભળો.”

“બોલો, વિહળભા !” એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા.

“સાંભળો, ભાઈ ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઈ મેલી છે. આપણને શાસ્તરની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્તર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે – વાંસા – મોર્ય નહિ. છે કબૂલ?”

“વિહળભા ! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતપોતાની તરવારને શિર ઉપર ચડાવીને સોંગદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે.”

ડાલાં ડાલાં જેવડાં બારેય માથા ઉપર બાર ઝગારા મારતાં ખડગ મંડાયા. અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે ‘જીવવું-મરવું બારેયને એક સંગાથે – ઘડી એકનુંય છેટું ન પાડવું’

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવો : મોતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઈને આનંદે ચડ્યા છે: વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છે: કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડાં હંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો. આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન-આરતી સંભળાવે છે.

બીજી બાજુ શો બનાવ બન્યો ?

અમદાવાદ કચેરીમાં જઈને વિસળ ગઢવીના એક અદાવતીયા ચારણે સુલતાનના કાન ફૂંકયા કે “અરે, હે બાદશાહ સલામત ! તેં સારાયે સોરઠ દેશને કડે કર્યો, મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુગટ ઝૂકાવે, પણ તારી બાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.”

“કોણ છે એવો બેમાથાળો. જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ?” બાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછયું.

“આંબરડી સુંદરીનાં સાત સાંજણ ગામનો ધણી વિસળ રાબો. જાતનો ચારણ છે.”

‘લા હોલ વલ્લાહ ! યા ખુદા તાલા ! યા પાક પરવરદિગાર !’ – એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવવાળા, અકકેક ઘેટો હજમ કરવાવાળા, અકકેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપ-બખ્તર પહેરવાવાળા. મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની જોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા.

“શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે ? એની પાસે કેટલી ફોજ ?”

“ફોજ-બોજ કાંઈ નહીં, અલ્લાના ફિરસ્તા ! એક પોતે ને અગિયાર એના ભાઈબંધો. પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. બાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.”

સડડડડ ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રુવાંડા બેઠા થઈ ગયાં. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાનો કાળદુત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે “બોલાવો વિસળ રાબાને.”

એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો – એવા દેવતાઈ રૂપવાળો વિસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી દસ દિશાઓના ચાકળા-ચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળો નાખતી ધરતી યજ્ઞ-કુંડ જેવી સડ્સડે છે. માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે ! એવા ચૌદ બ્રહમાંડના વિશ્વને મંદિર સરજી, માંહે ઊભો ઊભો ભક્ત વિસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે:

જ્યોતે પ્રળંબા, જુગદમ્બા, આધ અંબા ઈસરી,

વદનં ઝળંબા, ચંદ બંબા, તેજ તંબા તું ખરી,

હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

જીય રાસ આવડ રમ્મણી.

જીય રાસ આવડ રમ્મણી.

ભેરવે હલ્લા, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,

હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝૂઝ મલ્લાં ઝેલ્લીયં,

ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમ ગમમમ આભનો ઘુંમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોંકારા દિયે છે, અને સાંતીની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરીને બેય ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વિસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિના આરાધન ઉપડે છે:

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંગર પાય નમે,

દિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહી સાયર તેણ સમે,

નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,

રવરાય રવેચીએ, જ્ગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.

દેવી વક્કળ વેસીએ ઇસવરી,

માડી વક્કળ વેસીએ ઇસવરી.

મેઘમાળા ગાજી હોય એવો ભુલાવો ખાઈને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વિસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે.

એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે “વિહળભા ! પાતશા તમારે પાદર આજ પરોણા થઈને ઊતરેલ છે.”

“બાદશાહ ની તો પરવા નથી, પણ પરોણો એટલે જ પાતશા.” એમ બોલીને ચારણ સાંતીડે ઘીસરું નાખી, બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી, કડબ નીરી, કોઈ જાતની ઉતાવળ ન હોય એમ બાદશાહને મળવા ચાલ્યો.

“વિહળભા, સાંભળજો ! ચાડી પહોંચી છે.” બજારના માણસોએ શિખામણ સંભળાવી.

“હું તે બેમાંથી કોને સંભાળું, ભાઈ? બાદશાહ ને કે ચૌદ લોકની જગજ્જનીને?”

એટલો જવાબ વાળીને વિસળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા. સિત્તેરખાં અને બોતેરખાં ઉમરાવ જ્યાં અદબ ભીડી, શિર ઝૂકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી અજ્ઞાની વાટ જોતાં ઊભા છે, ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે, રાજેભર્યે લૂગડે, અણથડકી છાતીએ, ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામા આવીને એક હાથે આડી તરવાર ઝાલીને બીજે હાથે સલામ દીધી. એનું માથું અણનમ રહ્યું.

“વિસળ ગઢવી !” સુલતાને નાખોરાં ફુલાવીને પડકારો કર્યો. “સલામ કોની કરી?”

“સલામ તો કરી આ શક્તિની –અમારી તરવારની, ભણે, પાતશા !” વિસળે થનદે કલેજે જવાબ વાળ્યો.

“સોરઠના હાકેમને નથી નમતા?”

“ના, મોળા બાપ! જોગમાયા વન્યા અવરાહીં કમણેહીં આ હાથની સલામું નોય કે આ માથાની નમણ્યું નોય; બાકી તોળી આવરદા માતાજી ક્રોડ વરસની કરે !”

“કેમ નથી નમતા ?”

“કાણાં સારું નમાં ? માણહ માણહહીં કેવાનો નમે ? હાથ જોડાવા લાયક તો એક અલ્લા અને દુજી આધ્યશક્તિ: એક બાપ અને ડીજી માવડી; આપણ સંધા તો ભાઈયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા ! નમીએ નહીં. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં તો પછે, બોલ્ય પાતશા, કાણાં સારું નમાં ?”

ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘન પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડયો : “કાં સલામ દે, કાં લડાઈ લે.”

“હા ! હા ! હા ! હા !” હસીને વિસળભા બોલ્યો: “લડાઈ તો લિયા; અબ ઘડી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નસેં. પણ પાતશા ! મોળો એક વેણ રાખ્ય.”

“ક્યા હૈ?”

“ભણે પાતશા, તોળી પાસેં દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસતાર : તોળા પાસેં તોપું,બંધૂકું, નાળ્યું-ઝંઝાળ્યું. અને અમણી પાસેં અકકેક ખડગ : ભણે લડાઈ લિયાં ; પણ દારૂગોળે નહિ ; આડહથિયારે. તોળા સૈકડા મોઢે લડવૈયા; અમું બાર ભાઈબંધ : આવી જા. અમણા હાથ જોતો જા, અણનમ માથા લેને કીમ કવળાસે જવાય ઈ જોતો જા !”

સુલતાને બેફિકર રહીને કેવળ તરવાર-ભાલા જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.

“રંગ વિસળભા ! લડાઈ લેને આદો ! રંગ વિસળભા ! પાતશાની આગળ અણનમ રૈને આદો !”

એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ સામી બજારે દોટ દીધી, વિસળને બાથમાં લઈ લીધો. દસ ને એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામાં અબીલગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે.

મોરલા જેવા બાર ભાઈબંધોનાં મોતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા ! મે ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાનો ઈલાજ બતાવે ?”

“ઈલાજ છે ખુદાવંત,” વજીર બોલ્યો : “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વિસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થસે. બસ, એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”

સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારેય ભાઈબંધો સગાંવહાંલાને જીવ્યા-મુવાના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વિસળભા ! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વિસળે ભારથમાં પારોઠનાં (પીઠના) પગલાં ભર્યાં કહેવાશે, હો !”

“પારોઠનાં પગલાં ! વિહળો ભરશે?” વિસળભાની આંખોમાં તેજ વધ્યાં: “ધાનરવ ભા ! નાગાજણ ભા ! રવિયા ! લખમણ ! ખીમરવ ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નિકળીએ.”

પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા.

“અલ્લાહ ! અલ્લાહ ! અલ્લાહ ! ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ ?”

એવે ટાણે વિસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો:

વિહળ પૂછે બ્રાહ્મણા, સુણ કેશવ કંધાળા,

કણ પગલે સ્રગ પામીએ, પશતક નૈયાળા?

[અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સંભાળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે?]

અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયા છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિધા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળભા !-

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,

કરવત કે ભેરવ કરે, શિખરાં શખરાળાં,

ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મારે હઠાળા,

તે વર દિયાં વિહળા, સાગ થિયે ભવાળા.

[વિહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વિહળ!]

સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈને કુંડાળું કાઢ્યું.

“જુવાનો !” વિસળે વાણીનો ટંકાર કર્યો : “જુવાનો ! આજ આપણાં અમરાપુરના ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કુંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો ! આજ ભાઈબંધીના પરખાં થાસે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સુવા આ કુંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબુલ છે?”

“રૂડું વેણ ભણ્યું, વિહળભા !” દસેય જણાયે લલકાર દીધો.

“આકળા થાઓ માં, ભાઈ, સાંભળો ! કુંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાનાં હથિયાર પડીયાર, ફેંટાફાળિયા અને કાયાની પરજેપરજ નોખાં થઈ ગયાં હોય તેય વીણીને સાથે આણવા. બોલો બનશે?”

“વિહળભા !” ભાઈબંધો ગરજયા: “ચંદર-સૂરજની સખે માથે ખડગ મેલીને વ્રત લીધા છે. આ કેસરિયા વાઘા પહેર્યા છે. આ કંકુના થાપા લીધા છે અને હવે નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાયા, બાપ ! વાંસોવાંસ ડગલાં દિધ્યે આવશું.”

“જુઓ, ભાઈ ! અત્યારે આજ સાંજરે આપણાંમાંથી આંહી જે કુંડાળાં બહાર, એ ઈશ્વરને આંગણેય કુંડાળાં બહાર; વિસરશો મા.”

દસેય જણાયે માથાં નમાવ્યાં.

“અરે, પણ આપણો તેજરવભા ક્યાં?”

“તેજરવ પરગામ ગયો છે.”

“આ…હા ! તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળાં થાશું.”

અગિયારેય જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા-મૂઆનાં રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી.

સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વિસળ બોલ્યો : “ભાઈ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે. એને માથે ઘા ન હોય, હો કે ! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાનાં હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જોવા દેજો, હો !”

“હો, ભાઈ !”

માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજુડી રબારણ હાલી આવે છે. આવીને એણે કુંડાળાં ઢુકડો ગોળો ઉતાર્યો. “વિહળ આપા ! આ પાણી !”

“માંજુડી, બેટા, રંગ તને, ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લગી હશે. અમે વળીએ ત્યાં સુધી આંહી બેસજે, બેટા !”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી !’ ‘જે ચંડી, જે જોગણી !’ની હાકલો દીધી, ડોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે –

હે જલંગા હંસલા કમંધ મકરાણી,

શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,

ગરવર જંગા ગોહણા પે પંથા પાણી,

જાણ શશાંગી ઝૉપિયા સજકિયા પતાશાણી.

રેવતવંકા રાવતાં મખમલ પલાણી,

સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરસાની – એવા જાતજાતના પાણીપંથા અને પહાડને વીંધે એવી જાંધોવાળા માથે મખમલનાં પલાણ માંડીને પઠાણો ઊતર્યા.

ઝાકાઝીક: ઝાકાઝીક: ઝાકાઝીક: સામસામી તરવારોની તાળીઓ પડવા મંડી. એક એક ભાઈબંધ સો-સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘુમવા માંડયું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે ‘યા અલ્લાહ ! યા અલ્લાહ ! ઈમાનને ખાતર ઈન્સાન કેવી જિગરથી મારી રહ્યો છે !’

“વાહ, કેશવગર ! વાહ બાવાજી ! વાહ બ્રાહ્મણ, તારી વીરતા !” એવા ધન્યવાદ દેતો દેતો વિસળ રાબો કેશવગરનું ધિંગાણું નીરખે છે !”

શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે, આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે.

“વિહળભા !” વિસળના નાનેરા ભાઈ લખમણે સાદ દીધો: “વિહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતૂક આવ્યાં તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહિ ! વિહળ, કેશવગરને ભલકારા દઈ રીયા છો, પણ આમ તો નજર માંડો !”

ડોક ફેરવીને જ્યાં વિસળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તરવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતા જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વિસળની છાતી ફાટફાટ થઈ રહી.

“એ બાપ, લખમણ, તું તો રામનો ભાઈ, તને ભલકારાણ હોય, તું શૂરવીરાઈ દાખવ એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો : માગણ ઊઠીને આંતરડાની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઈ કહેવાય, મારા લખમણ જતી !”

સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા ! આડહથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથેમાથું આ અગિયારેય જણા બાજરાના ડુંડાની જેમ લણી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો ! ગલોલીઓ ચલાઓ !” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાની વર તો હડુડુડુડુ! હમમમમ! ધડ! ધડ! ધડ! –

સીંગળ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,

સાબળ છૂટે સોંસરા, સુરા સભટ્ટે,

વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટ્ટા પ્રાછ્ટ્ટે,

ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવા ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઈબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યાં. કોઈ એક પગે ઠેકતો આવે છે, કોઈ આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે, કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા, પછી વિસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો, “ભાઈબંધો, સુરાપુરીના ધામ દેખાય છે. હાલી નીકળો !”

સહુ બેઠાં. લોહીનો ગારો કરીને સહુએ અકકેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદા ઓશિકા કર્યા. અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા.

ટોયલી ભરી ભરીને માંજુડી રબારણ અગિયારેય મોતના વટેમાર્ગુઓને પાણી પાય છે, પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે, ત્યાં તો અગિયારેયની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈને કુંડાળે આવ્યો.

આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે “આ કોણ? આ કોણ?”

અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડિયો ઓળખાણ દેતો જાય છે કે “આ વિસળ ! આ ધાનરવ ! આ લખમણ.”

“મારા પીટયા !” માંજુડીએ કાળવચન કાઢ્યું: “તને વાગે મારા વાશિયાંગનાં ભાલા ! મારા સૂતેલા સાવજને શીદ જગાડ્છ? જીવતાં હતા તે ટાણે ઓળખાવવા આવવું’તું ને ?” (અને રબારણની વાત સાચી પડી. વિસળનો દીકરો વાશિયાંગ,જે યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભરબજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો.)

માંજુડીની આંખમાં આંસું આવ્યાં. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.

ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નિકો ભળી. એણે આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એકસામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે ! તેજરવ આપા ! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પાડો.”

“એ ભાઈ, મને રોકો માં. તે ડી છોડિયું છાબે નો’તી રમી, પણ મરદોએ કાંડા બાંધ્યા હતાં.”

છૂટીને તેજરવ દોડ્યો, છલાંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઈબંધોની ચિતા સામે ઊભીને બોલ્યો: વિહળભા, તમું હાર્યે જીવસટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા? મને છેટું પડી દીધું? પણ હે અગ્નિદેવતા ! મારો ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વિહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય.”

એટલું બોલીને અગિયાર ભાઈબંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું, હાથમાં માલા લીધી અને બળતી ઝાળોની વચ્ચે બેસીને ‘હર ! હર ! હર !’ નાં જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખીએ કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

[દુહો]

તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં

સોયે મરણ સટે, વિસળસું વાચા બંધલ.

[તેજરવે પોતાનું તણ મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના માત્ર વિસળની સાથે મૃત્યુ સટોસટનાં કોલ દીધા હતા.]

અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કુંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક ડેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વિસા રાબાએ હાથીના દંતશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મહોબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતાં તેથી બાદશાહે જ વાવ બૂરાવેલી હતી. વિસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.

આંબરડી (સરા પાસે : ચોટીલાથી આશરે 35 કી.મી.ને અંતરે)

|| અણનમ માથા ||

(ગીત:- સાવજડું)

અણનમ માથા અણનમ માથા શિષ કટાવે અણનમ માથા

ઝુકે કદી ન ક્રોડ દીયે પણ મોત મનાવે અણનમ માથા

મહારાણો પરતાપ ઝુકે ના જંગલ ભટકે અણનમ માથા

થરથર આખો અકબર થાતો દિલ્લી થડકે અણનમ માથા

સાત ગામનો ધણી અકેલો વિહળ રાબા અણનમ માથા

બાદશાહને સલામ શેની કરો કહુંબા અણનમ માથા

દેતા કન્યા અહમદશા’ ને ઊભો સામંત અણનમ માથા

બહારવટા બિહોલ ગામના અહરાણા અંત અણનમ માથા

આખરમાં આઝાદ અમારા હાથે મરતા અણનમ માથા

અંગ્રેજોના હાથે ના’વે ધીંગે ધરતા અણનમ માથા

ગ્રજવી ગોહીલવાડ ધરાને જોગીદાસે અણનમ માથા

શુદ્ધશિયળના રંક સહારા રાજા ત્રાસે અણનમ માથા

ધરણી યુનાની પર કેવલ ત્રણસો જોદ્ધે અણનમ માથા

માત આપવા મોત ભલે હો ભભકે ક્રોધે અણનમ માથા

અણનમ માથા અણનમ માથા વંદન તમને અણનમ માથા

ધાર્મિક ધરતો ચરણો માંહી રચના સારી અણનમ માથા

-કવિ ધાર્મિકભા ગઢવી

લેખક – ઝવેરચંદ મેઘાણી

Comments

Popular posts from this blog

वंश परंपरा में गोत्र, प्रवर और शाखा क्या होती है?

 भारत में जो भी रह रहे हैं वे सभी ऋषि और मुनियों की संतानें हैं। चाहे वह सूर्यवंशी हो, असुरवंशी हो, चंद्रवंशी हो या अन्य किसी भी कुल से हो। ऋषियों में बहुत से ऐसे ऋषि थे जिन्होंने वेदों को संभालने के लिए वेदों के विभाग करने उन्हें अनेक शाखाओं में विभक्त करके सभी को अलग अलग वेद, शाखा आदि को कंठस्थ कराकर उन्हें यह शिक्षा दी की आप अपनी पढ़ियों को भी वेद की उक्त शाखा को कंठस्थ कराएं। इस तरह ब्राह्मण कुल के अलग अलग समाज का निर्माण होता गया।   वर्तमान में यदि कोई जानकार अपना परिचय देगा तो अपना गोत्र, प्रवर, वेद, शाखा, शर्म, देवता, आवंटक आदि को बताना होगा। अब हम जानते हैं कि यह सब क्या होता है।     1.गोत्र : गोत्र का अर्थ है कि वह व्यक्ति किस ऋषि के कुल का है। जैसे किसी ने कहा कि मेरे गोत्र भारद्वाज है तो उसके कुल के ऋषि भारद्वाज हुए। अर्थात भारद्वाज के कुल से संबंध रखता है। भारद्वाज उसके कुल के आदि पुरुष है। इसी तरह कोई इंद्र, सूर्य या चंद्रदेव से तो कोई हिरण्याक्ष या हिरण्यकशिपु से संबंध रखता है तो कोई महान राजा बलि की संतान है। हालांकि सभी ऋषि अंगिरा, भृगु, अत्रि, कश...

ઝવેરચંદ મેઘાણી

  ગુજરાત તેમજ ભારતના કવિ, સાહિત્યકાર, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની તેમજ નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. જન્મ : ૧૭ અથવા ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ શ્રાવણ વદ પાંચમ ચોટીલા  મૃત્યુ : ૯ માર્ચ ૧૯૪૭ બોટાદ જીવનસાથી : દમયંતીબેન, ચિત્રદેવી માતા-પિતા : ધોળીબાઈ-કાળીદાસ જીવન  તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલ...

દેવાયત બોદર

 દેવાયત બોદર દેવાયત બોદર (આશરે ઇ.સ. ૯૦૦ - ૧૦૨૫) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા' નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા' ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી. દેવાયત બોદરનો જન્મ અલિદર-બોડિદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો. તેમને તેમની પત્નિ સોનલથી ઉગા નામનો પુત્ર અને જાહલ નામની પુત્રી હતી. દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા' દિયાસને મારીને ગાદીભષ્ટ કર્યા પછી રા' નવઘણને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું.[૧] ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા' દિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં કંઇ કરી ન શક્યા. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા'નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા'એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું. સોલંકીઓએ જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. ત...

प्रसिद्ध कामाख्या मंदिर

 असम का कामाख्या मंदिर सदियों से पूज्नीय रहा है। आज भी यहां दुनिया भर से रोज़ाना हज़ारों की संख्या में श्रद्धालु आते हैं। गुवाहाटी शहर की निलांचल पहाड़ियों पर स्थित ये मंदिर भारत में 51 शक्ति पीठों के सबसे पुराने मंदिरों में से एक है। कामाख्या देवी को समर्पित ये मंदिर शक्ति और तंत्र पूजा का एक महत्वपूर्ण केंद्र रहा है। लेकिन क्या आपको पता है कि ये मंदिर क्यों अनोखा है? इस मंदिर में न तो कोई मूर्ति है और न ही किसी देवी की आकृति है, यहां बस पत्थर में तराशा हुआ योनि का एक प्रतिरूप है जिसकी श्रद्धालु पूजा करते हैं। असम के प्रारंभिक इतिहास में कामाख्या देवी नाम प्रधान नामों से से एक है। कामाख्या कामरुप अथवा प्राचीन असम की अधिष्ठातृ देवी थी। इस वजह से इसे कामरुप-कामाख्या भी कहा जाता है। माना जाता है कि कामाख्या इस प्रांत के आदिवासियों की माता देवी हुआ करती थीं। माता देवी की पूजा करने वाले संप्रदाय का संबंध खासी और गारो जैसी मातृस्वामिक जानजातियों से है जो नीलांचल पहाड़ियों में रहती थीं। कुछ प्राचीन हिंदू ग्रंथों के अनुसार, कामाख्या काली का रुप है। अन्य ग्रंथों में कामाख्या को शिव की पत्न...

તુલસીશ્યામ

હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય તેમજ જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિલોમીટર દુર છે જયાં વિસાવદર, સતાધાર, ધારી થઇને ડામર માર્ગે પહોચી શકાય છે તેમજ જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને પણ તુલસીશ્યામ જઇ શકાય છે. આ અંતર ૧૯૬ કિલોમીટર થાય છે. જે માર્ગે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થો આવે છે. કહેવાય છે કે જાલંધર નામ...

निशा बेन सागर ने रामायण के प्रसारण के लिए प्रति एपिसोड 25000 लेने से इनकार कर दिया

 रामानंद सागर की पुत्रवधू “निशा बेन सागर” को नियमानुसार कॉपीराइट का दूरदर्शन ने प्रति एपिसोड ₹25000 भुगतान करने का प्रस्ताव देकर रामायण के पुनः प्रसारण की अनुमति मांगी। निशा बेन सागर ने दूरदर्शन को पत्र लिखा कि मुझे खुशी होगी कि आज के बच्चे राम रामायण के बारे में जानेंगे और आप प्रसारण करिए मुझे एक पैसे भी कॉपीराइट के नहीं चाहिए और इस तरह निशा बेन सागर ने रामायण के प्रसारण के लिए प्रति एपिसोड 25000 लेने से इनकार कर दिया। आप सोचिए 25000 प्रति एपिसोड यानी कितनी बड़ी रकम उन्होंने ठुकरा दी इसीलिए नरेंद्र मोदी जी ने “निशा बेन सागर” को फोन किया और उन्हें बहुत-बहुत धन्यवाद कहा सनातन धर्म हमे त्याग और शुद्ध आचरण सिखाती है जिसका एक उदाहरण ये है… रामानंद सागर की पुत्रवधू “निशा बेन सागर” बिना रायल्टी के दी दूरदर्शन को रामायण के पुनर्प्रसारण की अनुमति : कहा नयी पीढ़ी को भगवान रामचरित के दर्शनों का लाभ मिले यही हमारी रायल्टी है पुंराना वर्जन नए में कन्वर्ट किया गया निशा बेन सागर ने बताया कि हमारे पास रामायण का पुराना वर्जन था। पीएम से बात होने के बाद इसे नए वर्जन में बदलना चुनौतीपूर्ण था। एक ही ...

ભગવદ્ગોમંડલ

ભગવદ્ગોમંડલ ભગવદ્ગોમંડળ ની રચના ૨૪ ઓક્ટોબર ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતો ગ્રંથ “ભગવદ્ગોમંડલ” રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે. વ્યુત્પત્તિ ભગવદ્ગોમંડલ શબ્દની સંધી છૂટી પાડતા, ‘ભગવત્’ અને ‘ગોમંડલ’ એમ બે શબ્દો મળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: ‘ભગવત્’ એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે ‘ગોમંડલ’ એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ. સંશોધન સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વ...

JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે

  The Jamnagar Janmarg Foundation (JJMF) operates the city bus service in Jamnagar in partnership with the Jamnagar Municipal Corporation. The service includes a modernized fleet of electric buses aimed at providing eco-friendly and convenient public transportation across the city. Operating Hours: Buses generally run from 06:30 AM to 09:30 PM, with specific frequencies varying between 60 to 90 minutes depending on the route. બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Official App: You can easily track real-time bus locations, check route timetables, and purchase tickets directly through the JJMF – Apps on Google Play mobile app. PM E Bus service  JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે.બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Android: https://shorturl.at/wbJTF IOS: https://shorturl.at/DyMKn   Jamnagar Municipal Corporation

ઝરીયા મહાદેવ

 કહેવાય છે કે મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હંમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક વેરાન જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. તો આવો જાણીએ ક્યાં આવેલુ છે આ મંદિર . કોઈ સ્તોત્ર ન હોવા છતાં અવિરત પાણી ઝરવાનું શુ છે રહસ્ય? આજે આપણે વાત કરવાના છીએ ચોટીલાથી આશરે ૧૫ કિમિ દૂર થાનગઢ રોડ પર આવેલ પૌરાણિક સ્વયંભૂ મંદિર ઝરીયા મહાદેવની. આ મંદિર સુરેન્દ્રનગરથી અંદાજે ૬૮ કિમિ દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.તેમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેળાવડો જામે છે. અહીં બારેમાસ પથ્થરની એક શીલમાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. બારવર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો. એટલે પાંડવોના સમયનું આ મંદિર છે તેવું પણ માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલમાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જ...

એકતા • સેવા • સમર્પણ : સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે,

 આ પંક્તિઓ ખૂબ જ ઊંડી, પ્રેરણાદાયી અને સમાજ માટે અરીસો બતાવનારી છે. ​સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે, તે આ ચાર લીટીઓમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે: ​લડો સમાજ માટે: જો તમારામાં અન્યાય સામે લડવાની તાકાત હોય, તો આગળ આવીને લડો. ​લડી ના શકો તો બોલો: જો કોઈ કારણસર મેદાનમાં આવીને લડી ન શકો, તો અન્યાય સામે અવાજ ઉઠાવો, તમારો વિરોધ નોંધાવો. ​બોલી ના શકો તો લખો: જો અવાજ ઉઠાવવામાં પણ સંકોચ કે ડર હોય, તો તમારી કલમ ઉપાડો. લખાણ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ​હિંમત ના તોડો: અને જો તમે આ ત્રણેય વસ્તુ કરવા સક્ષમ નથી, તો કંઈ નહીં... પણ જે લોકો સમાજ સુધારવા માટે લડી રહ્યા છે, બોલી રહ્યા છે કે લખી રહ્યા છે, તેમની હિંમત ક્યારેય ન તોડો. તેમનો પગ ખેંચવાને બદલે તેમને સાથ આપો અથવા મૌન રહીને પણ તેમનું મનોબળ વધારો. ​એકતા, સેવા અને સમર્પણની ભાવના સાથેનો આ સંદેશ ખરેખર દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. ખૂબ જ સુંદર વિચાર!