વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય
ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી
રાજ્યમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાંથી પસાર થતાં વીજ ટાવર લાઈનના યોગ્ય વળતરને લઈને સતત રજૂઆત અને વિરોધ નોંધાવી રહ્યા હતા. તેવામાં ખેડૂતોના વિરોધ સામે હવે સરકાર ઝૂકી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, 'વીજ પોલમાં હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરાશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર સહિતના વ્યક્તિનો કમિટીમાં સમાવેશ કરાશે.'
જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત
ગુજરાત સરકારે વીજ ટાવર અને લાઇન પસાર થવા બદલ ખેડૂતોને અપાતા વળતરમાં વધારો કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ આ નિર્ણય પાછળ ખેડૂત સંગઠનોના લાંબા સમયના આક્રોશ અને આગામી રાજકીય ગણતરીઓ છુપાયેલી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત પ્રથમ દ્રષ્ટિએ આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવમાં આ નિર્ણય સરકારે પોતાની અગાઉની અન્યાયી નીતિઓનો સ્વીકાર કર્યો હોવાનું સાબિત કરે છે. વર્ષોથી જંત્રીના નામે ખેડૂતોની કિંમતી જમીનો નજીવા ભાવે પડાવી લેનાર સરકાર હવે ઉદારતાનો સ્વાંગ રચી રહી છે, જ્યારે હકીકત એ છે કે જમીનની કાયમી બરબાદી સામે આ વળતર ખૂબ ઓછું છે.
જમીનની બજાર કિંમત નક્કી કરવા 'માર્કેટ રેટ કમિટી'ની રચના કરાશે
જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે 'માર્કેટ રેટ કમિટી' (MRC)ની રચના કરવાની જાહેરાત માત્ર કાગળ પરનો વાઘ સાબિત થઈ શકે છે. આ સમિતિમાં કલેક્ટર અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડર (વીજ કંપનીઓ)ના પ્રતિનિધિઓનો દબદબો રહેશે, જેના કારણે સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ વચ્ચે ખેડૂતોનો અવાજ દબાઈ જવાની પૂરી સંભાવના છે. સમિતિમાં ખેડૂત પ્રતિનિધિઓને માત્ર દેખાડા ખાતર જ સ્થાન આપવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વીજ કંપનીઓ પોતાના ફાયદા માટે જમીનનો બજાર ભાવ નીચો રાખવા દબાણ કરશે, જેનાથી પારદર્શિતાના દાવાઓ પોકળ સાબિત થઈ શકે છે.
સરકારે ગર્વભેર જાહેરાત કરી છે કે, 765 કે.વી. લાઇનમાં 625 ચોરસ મીટરના બદલે હવે 729 ચોરસ મીટરનું વળતર ચૂકવાશે. પરંતુ આ માત્ર એક ગણિતની માયાજાળ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વાસ્તવમાં, ખેતરમાં એકવાર મોટો વીજ ટાવર ઉભો થઈ જાય એટલે તેની આસપાસની એક એકર જમીન ખેતી માટે નકામી બની જાય છે. ત્યાં મોટા ટ્રેક્ટર કે આધુનિક સાધનો ચલાવી શકાતા નથી, જમીનની બજાર કિંમત કાયમ માટે ઝીરો થઈ જાય છે અને ભવિષ્યમાં તે જમીન વેચી શકાતી નથી. થોડા ચોરસ મીટરનો વધારો આપીને સરકાર ખેડૂતોને થતા કાયમી આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે નહીં તેવી પણ ફરીયાદ ઉઠી રહી છે.
ગ્રામિણ, નગરપાલિકા અને મનપા પ્રમાણે વળતરના દરો
Comments
Post a Comment